(એજન્સી) ધર્મપુરી, તા.૩
કડથુર યુનિયનના થલનાથમ પંચાયતમાં બે પડોશી ગામોના રહેવાસીઓ વચ્ચે ત્યારે સાંપ્રદાયિક અથડામણ ભડકી ઉઠી જ્યારે ગુરૂપરલ્લી ગામના વન્નિયારોના એક ટોળાએ નાદુર ગામમાં અરૂંધાથિયારોના ઘર પર હુમલો કર્યો, મિલકતને નુકસાન પહોંચાડ્યું અને પછી ઘરવાસીઓને ઘરની અંદર પૂરી દીધા. કડથુર પોલીસના જણાવ્યા અનુસાર, નાદુર ગામમાં અરૂંધાથિયારો સમુદાયના ૫૦થી વધુ પરિવારો રહે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘નાદુર ગામના ૨૫ વર્ષીય જયસિમ્મન અને ૨૩ વર્ષીય સંતોષ ટુ-વ્હીલર પર ભોજન કરવા માટે ગુરૂપરલ્લી ગામ તરફ ગયા હતા. તેમનું વાહન અય્યમપટ્ટી વિસ્તારમાં બગડી ગયું, જ્યાં વન્નિયાર સમુદાયના લોકોનું પ્રભુત્વ છે. આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કેટલાક વન્નિયાર યુવાનોએ તેમને તાત્કાલિક સ્થળ છોડી દેવા કહ્યું હતું’. બંને સમુદાયના યુવાનો વચ્ચે બાદમાં શાબ્દિક ઝઘડો થયો, જે શારીરિક હુમલામાં પરિણમ્યો. ‘વધુ વન્નિયર યુવાનોએ આ વિસ્તારમાં ભેગા થઈને જયસિમ્માન અને સંતોષ પર હુમલો કર્યો અને બંને પર જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.’ અધિકારીએ જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર લીધા પછી બંને યુવાનો રાત્રે ૧૦ વાગ્યે પોતાના ઘરે પાછા ફર્યા અને તેમના માતાપિતાને ઝઘડા વિશે જાણ કર્યા વિના સૂઈ ગયા. અધિકારીએ જણાવ્યું કે, “રાત્રે, વન્નિયર સમુદાયના ૧૦થી વધુ લોકો જયસિમ્માનના ઘરે ઉમટી પડ્યા હતા, ગાળો બોલી હતી અને લાકડીઓ અને લોખંડના સળિયાથી ઘર પર હુમલો કર્યો, બારીઓ અને દરવાજા તોડી નાખ્યા. તેમણે મુખ્ય દરવાજો બહારથી બંધ કરી દીધો અને જો પરિવાર ઘરની બહાર નીકળ્યા તો તેમને મારી નાખવાની ધમકી આપી હતી’. અધિકારીએ જણાવ્યું હતું કે, પડોશીઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં, ગેંગ જયસિમ્માનના ટુ-વ્હીલર સાથે ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી.
ધર્મપુરીમાં દલિત યુવકના ઘર પર બિન-દલિતોનો હુમલો, નુકસાન પહોંચાડ્યું
Gujarat Today
Leave A Reply