(એજન્સી) વિલ્લુપુરમ, તા.૪
તમિલનાડુ સરકારે મેલપાથી ગામમાં ચાર દલિત સફાઈ કર્મચારીઓ સામે જાતિગત ભેદભાવના આરોપોની તપાસ કરવા માટે વિલ્લુપુરમ એસપીને નિર્દેશ આપ્યો છે. ડેપ્યુટી સેક્રેટરી (ગૃહ વિભાગ) તરફથી આ નિર્દેશ મુખ્યમંત્રીના વિશેષ સેલને સુપરત કરાયેલી અરજીને પગલે આપવામાં આવ્યો છે. કામદારોમાંની એક જી મુનિયમમલ (૪૭)એ આરોપ લગાવ્યો હતો કે તેમને અને અન્ય ત્રણ લોકોને ખુલ્લા હાથે માનવ મળ સાફ કરવાની ફરજ પાડવામાં આવી હતી અને મેલપાથી પંચાયતના પ્રમુખ આર મણિવેલ અને કેટલાક જાતિગત હિન્દુ સભ્યો દ્વારા વારંવાર જાતિગત દુર્વ્યવહારનો ભોગ બનવું પડ્યું હતું. તેમણે સ્થાનિક પોલીસ અધિકારીઓ પર ફરિયાદ પાછી ખેંચવા માટે કામદારોને દબાણ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ચાર કામદારો-મુનિયમમલ, કે અતિલક્ષ્મી, એસ નાગરાજ અને પી ગોવિંદરાજ-ગામમાં ઘરનો કચરો એકત્રિત કરે છે. ૭ એપ્રિલ, ૨૦૨૩ના રોજ શ્રી ધર્મરાજ દ્રૌપતી અમ્માન મંદિરમાં પ્રવેશ કરવા બદલ કથિત રીતે એક દલિત પરિવાર પર થયેલા હુમલા બાદ, કામદારોએ જણાવ્યું હતું કે, મંદિર વિવાદ માટે તેમને જાહેરમાં અપમાનિત કરવામાં આવી રહ્યા છે અને અન્યાયી રીતે દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. કામદારોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પંચાયત પ્રમુખ દ્વારા ભેદભાવ, મૌખિક દુર્વ્યવહાર અને શારીરિક ધાકધમકી અસહ્ય બની ગઈ છે. મુનિયમ્મલે મીડિયાને જણાવ્યું કે, અમારી મજાક ઉડાવવામાં આવી હતી, ધમકી આપવામાં આવી હતી અને અપમાનજનક કાર્યો સોંપવામાં આવ્યા હતા. અમને અમુક શેરીઓમાં પ્રવેશ ન કરવાનું કહેવામાં આવ્યું હતું અને તેઓએ અમને એવું અનુભવ કરાવ્યું હતું કે અમે અહીંના નથી. અમને ખુલ્લા હાથે માનવ મળ સાફ કરવાની પણ ફરજ પાડવામાં આવી હતી. “તેઓએ અમને કોરા કાગળો પર સહી કરવા માટે પણ દબાણ કર્યું હતું જે પાછળથી એવો દાવો કરવા માટે બનાવવામાં આવ્યા હતા કે અમે ફરિયાદ પાછી ખેંચી લીધી છે.” ઉપપ્રમુખ સેલ્વમ અને સ્વચ્છતા સુપરવાઇઝર કવિતા સહિત પંચાયત અધિકારીઓને વારંવાર અપીલ કરવા છતાં, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું કામદારોએ ફરિયાદમાં જણાવ્યું હતું. ૨૫ મેના રોજ, તેઓએ વલવાનુર પોલીસ સ્ટેશનમાં મણિવેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. બીજા દિવસે, મહેસૂલ અધિકારીઓની એક તથ્ય શોધક ટીમે ગામની મુલાકાત લીધી. પરંતુ સત્તાવાર સૂત્રોએ પુષ્ટિ આપી છે કે સફાઈ કર્મચારીઓને ત્યારબાદ દલિત વિસ્તારોમાં ફરીથી સોંપવામાં આવ્યા હતા, જેના કારણે તેમને જાતિ હિન્દુ વિસ્તારોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અથિલક્ષ્મીએ જણાવ્યું કે, ‘તેઓએ અમને કહ્યું હતું કે, જો અમે ત્યાં કામ કરવાનું બંધ કરીશું તો અમને કોઈ મુશ્કેલી નહીં પડે,’ મુનિયમ્મલે જણાવ્યું કે, ‘અમે ફરિયાદ નોંધાવ્યાના થોડા સમય પછી (મે મહિનામાં) સાદા કપડાંમાં ચાર અધિકારીઓ મારા ઘરે આવ્યા અને મને કેટલાક કાગળો પર સહી કરવાનું કહ્યું. મેં શરૂઆતમાં ના પાડી, પરંતુ તેઓએ આગ્રહ કર્યો કે મારૂં કાર્યસ્થળ બદલવાની ઔપચારિકતા છે. તેથી, મેં સહી કરી. પછીથી મને ખ્યાલ આવ્યો કે મારી ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી છે,’. વધુમાં, કામદારોએ આરોપ લગાવ્યો કે તેમને એક નિવેદન પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેઓ હવે મણિવેલ સામે કેસ ચલાવવા માંગતા નથી, જેમણે ફરજ પર હોવા છતાં અધિલક્ષ્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
દલિત સફાઈ કર્મચારીઓનો મેલપાથી પંચાયતના પ્રમુખ પર જાતિગત દુર્વ્યવહારનો આરોપ
Gujarat Today
Leave A Reply